મોરબીના ધ્રુવ ક્રાફ્ટ મિલ પ્રા.લિ.ના ડિરેક્ટર રાજેશ પ્રભુભાઈ જીવાણીએ વડોદરાની જગદંબા ઇન્કોના પ્રોપ્રાઇટર નીલુબેન નરેન્દ્ર અગ્રવાલ સામે ક્રાફ્ટ પેપરના વેચાણ પેટે બાકી રહેલી રૂ.1 કરોડ 2 લાખ 50 હજારની લેણી રકમ અંગે મોરબી સિવિલ કોર્ટમાં સી.પી.સી. ઓર્ડર-37 હેઠળ સમરી દાવો દાખલ કર્યો હતો.
પ્રાથમિક સુનાવણી દરમિયાન કોમર્શિયલ વ્યવહાર અંગેનો દાવો કોમર્શિયલ કોર્ટમાં જ થઈ શકે કે નહીં અને સી.પી.સી. ઓર્ડર-37 હેઠળ સમરી દાવો કરી શકાય કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન વાદી પક્ષના વકીલોએ કલમ 13-એ સહિતની કાયદાકીય જોગવાઈઓ રજૂ કરી હતી અને લેણદારને સમરી દાવો કરવાનો હક્ક હોવાનું રજૂઆત કરી હતી.
કોર્ટ દ્વારા પ્રતિવાદીને સમરી દાવાનું સમન્સ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. સમન્સની બજવણી થઈ હોવા છતાં પ્રતિવાદી નીલુબેન નરેન્દ્ર અગ્રવાલ 10 દિવસની મુદતમાં મોરબી કોર્ટમાં હાજર ન થતાં, અદાલતે વાદીના હકમાં રૂ.1 કરોડ 2 લાખ 50 હજારની રકમ 7% વ્યાજ તથા દાવાના તમામ ખર્ચ સહિત ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં વાદી તરફે એડવોકેટ બી.એન. શેઠ, નીશ શેઠ તથા જાનકીબેન એન. મહેતા રોકાયેલા હતા.


